Eclesiastes 10

GL_GUJARATI

1 જેમ મરેલી માખીઓ મઘમઘતા અત્તરને દૂષિત કરી દે છે; તેવી જ રીતે થોડી મૂર્ખાઇ બુદ્ધિ અને સન્માનને નબળું પાડી દે છે.

2 બુદ્ધિમાન માણસનું હૃદય તેને સાચી દિશા બાજુએ દોરે છે; પણ મૂર્ખનું એ જ હૃદય તેને ખોટી અને મૂર્ખ બાજુ પર દોરે છે.

3 વળી મૂર્ખ પોતાને રસ્તે જાય છે ત્યારે તેની બુદ્ધિ ખૂટી જાય છે; અને તે દરેક ને કહે છે કે હું મૂર્ખ છું.

4 જ્યારે તારો શાશક તારા પર ગુસ્સે થાય તો તું ત્યાંથી નાસી ન જતો. કારણ કે તું જે સાંત્વન લાવે છે તેનાથી મોટા પાપો વડે થયેલો ગુસ્સો પણ ઠંડો પડી જાય છે.

5 મેં આ દુનિયામાં એક અનર્થ જોયો છે, અને તે છે કે શકિતશાળી શાશક દ્વારા થયેલી ભૂલ;

6 મૂર્ખાને મોટી સત્તાઓ મળે છે જ્યારે ધનવાનોને નીચા સ્થળે લાવવામાં આવે છે!

7 મેં ગુલામોને ઘોડે સવાર થયેલા અને રાજકર્તાઓને ગુલામોની જેમ પગે ચાલતા જોયા છે.

8 જે ખાડો ખોદે છે તે જ તેમાં પડે છે! અને જે વાડમાં છીંડુ પાડે છે તેને સાપ કરડે છે.

9 જે પથ્થરની શિલા તેને જે ખસેડે છે તેને જ ઇજા પહોચાડે અને કઠિયારાને લાકડું જ ભયમાં મૂકી દે.

10 બુઠ્ઠી કુહાડી વાપરવામાં ધારદાર કરતા વધારે શકિતની જરૂર પડે છે; તે ડહાપણ તમને તમારું કામ સરળ કરવામાં મદદ કરે છે.

11 સાપ જો તેને મંત્રથી વશ કર્યા પહેલા જ કરડી જાય તો મદારી નકામો છે.

12 ડહાપણભર્યા શબ્દો મનને આનંદ આપે છે, પણ મૂર્ખના બોલ તેનો પોતાનો જ નાશ નોતરે છે.

13 તેનાં મૂખના શબ્દોનો આરંભ મૂર્ખાઇ છે; અને તેના બોલવાનું પરિણામ નુકસાનકારક ગાંડપણ છે.

14 મૂર્ખ માણસ વધારે બોલે છે, પણ ભવિષ્ય વિષે કોઇ જાણતું નથી. પણ કોઇ કહી શકે તેમ નથી કે કાલે શું થવાનું છે?

15 કામ મૂર્ખને થકવી નાખે છે જે નગરમાં જવાનો પોતાનો રસ્તો પણ શોધી શકતો નથી.

16 જે દેશનો રાજા બાળક જેવો નાદાન હોય; અને જેના સરદારો સવારમાં ઉજાણીઓ માણે છે તે દેશનો ઉદ્ધાર અશક્ય છે!

17 એ દેશને આશીર્વાદ છે જેનો રાજા ઉમદા ગુણ લક્ષણ વાળો છે અને જેના નેતાઓ વધુ પડતું ખાતા નથી કે પીધેલ હોતા નથી.

18 આળસથી છાપરું નમી પડે છે; અને આળસુ હાથ ઘરમાં છિદ્ર વાટે ચૂવા દે છે.

19 ઉજાણી મોજમજાને માટે ગોઠવવામાં આવે છે, અને દ્રાક્ષારસ જીવનને ખુશી આપે છે. પૈસાથી બધું જ મળે છે.

20 રાજાને કે ધનવાનને તારા મનમાં પણ શાપ ન આપીશ; કારણ કે, વાયુચર પક્ષી તે સાંભળીને વાત લઇ જાય છે.

Ler em outra tradução

Comparar lado a lado